Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આ જીવનને ચાહું છું. પ્રેમ કરું છું. માનની નજરે જોઉં છું.
એને ઈશ્વરનો અસાધારણ, અનુપમ, આશીર્વાદ માનું છું.
ઈશ્વરની એ એક મહાન બક્ષિસ છે.
એને ચાહું છું, આટલા બધા સન્માનની નજરે નિહાળું છું.
પૂજાપાત્ર પણ માનું છું.

કારણ એ જ કે એ પરહિતનું પરમ સાધન છે,
સ્વાન્તઃ સુખની સામગ્રીરૂપ, મુક્તિ કે પૂર્ણતાનું પરમ પ્રવેશદ્વાર છે.
એની જોડ બીજે ક્યાંય નથી જડતી એ પણ એટલા માટે જ.
એટલા માટે જ એના સંભાળ રાખું છું,
એને વધારે ને વધારે ટકાવી રાખવા માંગું છું.

આ પૃથ્વી મને અત્યંત પ્રિય છે, મારે મન પ્રશંસાપાત્ર ને પૂજ્ય છે.
એને પરમાત્માની પરમશક્તિનું પ્રતીક માનું છું.
ઈશ્વરની એ મહાન બક્ષિસ છે. એને હું ચાહું છું.
કારણ એ જ કે એનો આશ્રય લઈને પરમપદની પ્રાપ્તિ કરી શકાય છે,
માનવ થવાય છે, માનવમાંથી દેવતાતુલ્ય થવાય છે, મહામાનવ બનાય છે.
નાનાં ને મોટાં બધા પ્રકારનાં બંધનોનો ત્યાગ એના પર જ થઈ શકે છે.
એનો પ્રત્યેક પદાર્થ, એનું પ્રત્યેક પરમાણુ, મને પ્રિય છે.

એમાંયે ભારતની ભૂમિ મને વધારે પ્રિય છે.
એના પર્વતો, એની નદીઓ, એનાં વિશાળ મેદાનો,
એનાં જંગલો, એની ઋતુઓ, ઉષાસંધ્યાઓ, એના લોકો -
એમનો ઈતિહાસ, એમના પ્રશ્નો, એમની સમસ્યાઓ,
એનાં સાંસ્કૃતિક મૂલ્યો, એના લોકોત્તર મહાપુરુષો, મને પ્રિય છે, પરમપ્રિય.
એમને માટે મને ગૌરવ છે.
એ ભૂમિ સર્વોત્તમ બની જાય, સર્વ પ્રકારે સુખી થાય એ મારું સ્વપ્ન છે,
શૈશવનું સ્વપ્ન.

- શ્રી યોગેશ્વરજી