Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ધ્યાનની સાધના સંસારમાં ક્યારથી ચાલી આવે છે ?
ઉત્તર : એને માટેની કોઈ ચોક્કસ સુનિશ્ચિત સમયમર્યાદાને નક્કી કરવાનું કે દર્શાવવાનું કામ કઠિન છે, અશક્ય જેવું છે, એવું કહીએ તો પણ ચાલે. પરમાત્માનો દિવ્ય સાક્ષાત્કાર કરવાની ઈચ્છાવાળા માનવે એ ઈચ્છાને સંતોષવા માટે ધ્યાનની સરળ, શાંત, અંતરંગ આરાધનાનો આધાર લીધેલો. એ આરાધના અથવા સાધનાનો નિર્દેશ વેદકાળમાં પણ મળી આવે છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં અને અન્યત્ર એનું વર્ણન કરવામાં આવ્યું છે. શિવપુરાણ, યોગવાસિષ્ઠ, પાતંજલ યોગદર્શન અને ભગવદ્ ગીતા જેવા ગ્રંથરત્નોમાં પણ એની સારગર્ભિત સવિસ્તર સમાલોચના કરવામાં આવી છે. એ ગ્રંથરત્નો પરથી પ્રતીતિ થાય છે કે ધ્યાનની સાધનાનો આરંભ પ્રાગૈતિહાસિક અથવા અતીત કાળથી થયેલો છે. એનાં મૂળિયાં ધાર્યા કરતાં ઘણાં ઉંડા છે.

એક બીજી મહત્વની વાત તરફ તમારું ધ્યાન દોરું. ધ્યાનની સાધના માનવમાત્રને માટે અસાધારણ અમૂલ્ય આશીર્વાદરૂપ છે. એ સાધના સંસારમાં ક્યારથી ચાલી આવે છે, એની માહિતી મેળવવાનું કામ કદાચ જિજ્ઞાસાવૃતિને સંતોષવા માટે સારું હશે, તો પણ એવી માહિતી માટેના પ્રયત્નોની પાછળ વિશેષ વખત વીતાવવાનું બરાબર નથી. એને બદલે એની ઉપકારકતા કે કલ્યાણકારકતા પ્રત્યે જેટલું પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે એટલું ઓછું છે. એથી મહત્વનો લાભ થઈ શકશે. ધ્યાનની સાધના ગમે તેટલી પ્રાચીન અથવા અર્વાચીન હોય તો પણ સૌ કોઈને માટે શ્રેયસ્કર છે. આપણે મન એનું જ મહત્વ વધારે છે.

પ્રશ્ન : ધ્યાનની સાધના સૌ કોઈને માટે શ્રેયસ્કર છે કે ફકત જે આત્મોન્નતિને માર્ગે આગળ વધવા માગે અથવા સાધનાત્મક જીવન જીવવાની અભિલાષા સેવે એવા ગણ્યાગાંઠ્યા વિરલ માનવોને માટે ?
ઉત્તર : ધ્યાનની સાધના સાધનાત્મક જીવન જીવવાની અભિલાષાવાળા ગણ્યાગાંઠ્યા વિરલ માનવોને માટે જ નહિ, પરંતુ સૌ કોઈને સારુ શ્રેયસ્કર છે. એ સાધના સાધનાત્મક જીવન જીવવાની અભિલાષાવાળા માનવોને માટે જ છે એવું માનવું ભૂલભરેલું છે. એ સાધના માનવમાત્રને માટે છે. એનો લાભ સૌએ લેવો જોઈએ.

પ્રશ્ન : સામાન્ય માનવોને ધ્યાનની સાધનાથી શો લાભ થાય ?
ઉત્તર : સામાન્ય માનવો ધ્યાનની સાધનાથી મનને ઉશ્કેરાટ, ઉત્તેજના અથવા આવેગ વગરનું, સ્વસ્થ અને શાંત રાખી શકે છે. વ્યવહારનું વિપરીત વાતાવરણ કેટલીકવાર સામાન્ય માનવના મનને વિપરીત અથવા અસ્વસ્થ બનાવી દે છે. એથી પ્રભાવિત થઈને એ અહંતા, મમતા, આસક્તિ, કામક્રોધ તથા રાગદ્વેષનો શિકાર બને છે. ધ્યાનની અંતરંગ સાધના એવી અસ્વસ્થતામાં અને અનેકવિધ દોષોમાંથી મુક્તિ આપે છે. એથી જીવનની વિશુદ્ધિની પ્રેરણા મળે છે, અને ચિત્તતંત્રને આરામ પહોંચે છે. સામાન્ય રીતે માનવ પોતાના જીવનમાં સુખશાંતિની અને સ્વાત્મસંતોષની ઈચ્છા રાખે છે. એ ઈચ્છા એવી મહામૂલ્યવાન મદદથી પૂરી થાય છે. ધ્યાનના અભ્યાસથી મન હળવું બને છે, ઉંડો અસાધારણ આરામ મળે છે, વિચારશક્તિ વધે છે, સ્મૃતિ બળવાન બને છે. એને લીધે વ્યવહારિક કર્તવ્યોનું અનુષ્ઠાન અથવા પરિપાલન વધારે સારી રીતે થઈ શકે છે. એટલે સામાન્ય માનવોએ પણ ધ્યાનના અભ્યાસની અભિરુચિને જગાવવી ને વધારવી જોઈએ. એથી કોઈ જલદી લાભ થયેલો નહિ દેખાય તો પણ હાનિ તો નહિ જ થાય.

પ્રશ્ન : સામાન્ય રીતે ધ્યાનનો ઓછોમાં ઓછો સમય કેટલો હોવો જોઈએ ?
ઉત્તર : જેટલો પણ કાઢી શકાય એટલો. એક વાત ચોક્કસ છે કે ધ્યાનની સાધનાનાં મહત્વનાં મનોવાંછિત લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે એનો સુદીર્ઘ સમયપર્યંત નિયમિત રીતે ઉત્સાહ, ધીરજ, ખંત સાથે આધાર લેવો જોઈએ. એને નિત્યજીવનની દીનચર્યાનું એક અગત્યનું અનિવાર્ય અંગ બનાવી દેવું જોઈએ. એવું કરવામાં આવે તો અધિક અને વિશેષ લાભ થઈ શકે.